ભાવનગરના વતની જનાર્દનભાઈ ભટ્ટ સ્ટેટ બેન્કના ક્લાર્ક તરીકે સેવાઓ આપતા હતા. વર્ષો સુધી બેન્ક યુનિયનના હોદેદાર તરીકે બેન્ક કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણમાં ખુબ મહત્વની ભૂમિકા પણ ભજવતા. આજે આપને વાત કરવી છે જનાર્દનભાઈના રાષ્ટ્રપ્રેમની, સૈનિકોના સમર્પણ પ્રત્યેના એના આદરની.
જનાર્દનભાઈની ઉમર અત્યારે ૮૬ વર્ષના છે. બેન્કમાંથી નિવૃત થઈને મસ્ત મજાની જિંદગી જીવે છે. બેન્કના સારા પગાર અને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ કરેલા રોકાણને કારણે બચત પણ સારા એવા પ્રમાણમાં કરી છે એટલે બીજી કોઈ ચિંતા નથી. આતંકવાદી કે નકસલી હુમલાને કારણે શહીદી વહોરનાર વીર સૈનિકોના બલિદાનની વાતો વાંચી સાંભળીને જનાર્દનભાઈને દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર સૈનિકો માટે અને એના પરિવાર માટે કંઇક કરવું હતું.
જનાર્દનભાઈએ બાકીના સમયની જરૂરિયાત પૂરી કરવા માટે જેટલી રકમની જરૂર પડે એના કરતા વધુ બચત છે. કરકસર કરીને બચાવેલી આ મૂડી દેશની રક્ષા માટે પરિવારનો પણ વિચાર ના કરનારા સૈનિકોના કલ્યાણ માટે મારે આપી દેવી છે.’ જનાર્દનનો અર્થ થાય વિષ્ણુ, શંકર કે પરમાત્મા. જનાર્દનભાઈએ ખરેખર એના નામના અર્થને સાર્થક કર્યો છે.
વિચાર તો આપણને પણ આવે છે પણ થોડા જ દિવસોમાં દેશભક્તિનો ઉભરો ઉતારી જાય છે. જનાર્દનભાઈએ એના વિચારોને વાસ્તવિકતામાં બદલ્યા. પોતાની બધી જ બચત રકમનો ચેક તૈયાર કરીને “નેશનલ ડિફેન્સ ફંડ”માં સૈનિકોના કલ્યાણ માટે દાનમાં આપી દીધી.
તમે કલ્પના કરી શકો કે બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરનાર મધ્યમ વર્ગના આ માણસે કેટલી રકમ આપી હશે ? પુરા 1,00,00,000/- . હા બીજી વાર વાંચી લો એક પણ મીંડુ વધુ નથી લાગ્યું. પુરા એક કરોડ રૂપિયા આ માણસે દેશના સૈનિકો માટે આપી દીધા. કોઈ અબજોપતિ માણસ એક કરોડ આપે તો સમજી શકાય પણ કોઈ સામાન્ય માણસ એની વૃદ્ધાવસ્થામાં મારણમૂડી સમાન બચત દેશના સૈનિકોને અર્પણ કરી દે એ બહુ મોટી વાત છે.
છાપાના સમાચારો વાંચીને આપણે માત્ર બળાપો કાઢવાનું કામ કરીએ છીએ અને જનાર્દનભાઈ ભટ્ટ જેવા મુઠ્ઠી ઉચેરા માણસ નક્કર કામ કરે છે. આજે જ્યારે લોકો અંગત સ્વાર્થ માટે દેશને પણ લૂંટાવાનું કામ કરી રહ્યા છે ત્યારે દેશ માટે અંગત બચત આપી દેનારા મહામાનવને સો સો સલામ.