ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની સંભવિત કાર્યક્રમ
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. બોર્ડની પરીક્ષા માટે ઉત્તરાયણ બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. બોર્ડની પરીક્ષાના 4 મહિના પહેલા જ ફોર્મ ભરવામાં આવશે. હાલ સમગ્ર રાજ્યમાં કોરોના સંકટ ચાલી રહ્યું છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા નિયત સમયમાં પરીક્ષા યોજાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
- ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજાશે
- 1 ડિસેમ્બરે યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ રદ્દ
- શાળાઓમાં શિક્ષકોના સમયમાં ફેરફાર કરાયો
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજ્જ થયું છે.
મળતી માહિતી અનુસાર ઉત્તરાયણ બાદ પરીક્ષાના ફોર્મ ભરવામાં આવશે અને મે મહિનામાં પરીક્ષા યોજાશે. બોર્ડની પરીક્ષા નિયત સમયમાં યોજાય તે માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા જે શીડ્યુલ નક્કી કરાયું છે તેનું પાલન થાય તે માટે ખાસ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બોર્ડની પરીક્ષામાં કોઈ ખોટ ન રહી જાય તે માટે શિક્ષણ વિભાગ અત્યારથી કામે લાગી ગયું છે.
1 ડિસેમ્બરે યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ રદ્દ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 1 ડિસેમ્બરે લેવાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. સૌરાષ્ટ્ર પંથકમાં વધી રહેલા કોરોના સંક્રમણના પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંદાજે 52 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. જોકે હવે 15 ડિસેમ્બર બાદ નવી તારીખો જાહેર કરવામાં આવશે.
શાળાઓમાં શિક્ષકોના સમયમાં ફેરફાર કરાયો
શાળાઓમાં શિક્ષકોના સમયમાં ફેરફાર કરાયો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો સવારે 7.30થી બપોરે 12 વાગ્યા સુધી હાજર રહેશે. વિદ્યાર્થીઓની પ્રત્યક્ષ હાજરીને મંજૂરી ન મળે ત્યા સુધી નિર્ણય લાગૂ રહેશે. કેટલીક શાળાઓમાં બપોરના સમયે શિક્ષકોને હાજર રખાતા હતા.