વાલીઓ જીવના જોખમે બાળકોને સ્કૂલમાં મોકલવા તૈયાર નથી
વડોદરાના વાલીઓ જીવના જોખમે બાળકોને સ્કૂલમાં મોકલવા તૈયાર નથી, વાલી મંડળ કહે છે ‘સરકારનું આત્મઘાતી પગલુ, ફેર વિચારણા કરો’
સરકારે સ્કૂલ ખોલવાના નિર્ણય અંગે ફેર વિચારણ કરવી જોઇએ તેવી વાલીઓની માંગ
કોરોના મહામારીને કારણે છેલ્લા આઠ મહિનાથી બંધ સ્કૂલો હવે દિવાળી પછી ખોલવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. જોકે, વડોદરાના વાલીઓ પોતાના બાળકોને જીવના જોખમે સ્કૂલમાં મૂકવા માટે તૈયાર નથી. રાજ્ય સરકાર કોરોના વાઈરસના જે આંકડાઓ બતાવે છે તે પણ ખોટા છે. તેવો આક્ષેપ વાલીઓએ કર્યો હતો.
વાલીઓ પોતાના બાળકનું વર્ષ બગડે તો પણ સ્કૂલે મોકલશે નહીં
રાજ્યમાં 23 નવેમ્બરથી ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવા અંગે આજે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે, જોકે વડોદરા શહેરના વાલીઓએ એકીસૂરે આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને બાળકોનું એક વર્ષ બગડે તો ભલે બગડે પણ અભ્યાસ માટે બાળકોના જીવ જોખમમાં મૂકવા માટે તૈયાર નથી. વર્ષ-2020-21 દરમિયાન વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલશે નહીં.
વાલી મંડળના સભ્ય કહે છે કે, સરકારનું આત્મઘાતી પગલુ છે પુનઃ વિચાર કરવો જોઇએ
વડોદરા વાલી મંડળના સભ્ય મુંકુંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, સરકારે અગાઉ જાહેરાત કરેલી જ હતી કે, કોરોનાની રસી નહીં શોધાય ત્યાં સુધી શરૂ કરવામાં નહીં આવે, તેમ છતાં સરકારે પોતાના નિર્ણયને ભૂલી જઇને આત્મઘાતી પગલુ ભર્યું છે. કોઇ પણ વાલીઓ પોતાના બાળકના જીવ જોખમમાં મૂકીને સ્કૂલે મોકલવા તૈયાર નથી, ત્યારે સરકારે આ અંગે પુનઃ વિચાર કરવો જોઇએ.
વાલી કહે છે કે, હું મારા દિકરાનો જીવ જોખમમાં મૂકવા માંગતી નથી
વડોદરાના વિદ્યાર્થીના વાલી મનિષાબેન પરમારે જણાવ્યું હતું કે, મારો પુત્ર 9માં ધોરણમાં અભ્યાસ કરે છે. સરકારે ભલે જાહેરાત કરી પણ મારા પુત્રને સ્કૂલમાં મોકલવાની નથી. સરકાર જે આંકડા બતાવે છે તે અલગ છે અને વાસ્તવિકતા અલગ છે. મારા દીકરાનું ભલે એક વર્ષ બગડે, પણ હું મારા દિકરાનો જીવ જોખમમાં મૂકવા માંગતી નથી. સરકારે સ્કૂલો ખોલવા વિષે પુનઃ વિચાર કરવો જોઇએ.
વાલી કહે છે કે, બાળકોના આરોગ્યને પ્રાથમિક આપવી જરૂરી છે
વાલી સંજયભાઇએ જણાવ્યું હતું કે, મારો દિકરો 11માં ધોરણમાં અભ્યાસ કરે છે. રાજ્ય સરકારે સ્કૂલો ખોલવાની જાહેરાત કરી છે, પરંતુ, કોઇ SOP જાહેર કરી નથી, પરંતુ, SOP જાહેર ન થાય ત્યાં સુધી હું મારા બાળકને સ્કૂલે નહીં મોકલું. હાલ કોરોના વાઈરસ થવાનો ડર છે અને બાળકોના આરોગ્યને પ્રાથમિક આપવી જરૂરી છે