સમગ્ર સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મુશળધાર વરસાદ વરસતા જળાશયોમાં પાણીની ધોધમાર આવક શરૂ થતાં સૌથી મોટા શત્રુંજય અને ભાદર ડેમના તમામ દરવાજા ખોલવા પડ્યા હતા.
સૌરાષ્ટ્રના ૧૨૦થી વધુ ડેમો ઓવરફ્લો થતાં હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. મુશળધાર વરસાદથી શેત્રુંજી ભાદરની નદીઓ ગાંડીતુર બની છે.
જેને પગલે સૌરાષ્ટ્રના 120 ડેમો હાઈએલર્ટ પર છે. ભાદરના 29 દરવાજા ખોલતા અનેક ગામને એલર્ટ કરાયા છે. ભાદર 2, ન્યારી 1, આજી 3, સહિતના ડેમોમાંથી પાણી છોડાતા અનેક ગામો જળબંબાકાર થયા છે.
તો ખોડિયાર ડેમના 4, શીંગોડા ડેમના 3 દરવાજા ખોલાતા ખેતરોમાં પાણી ભરાયા છે.
ચોમાસાની સિઝનના બે મહિનામાં જ સૌરાષ્ટ્રના જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીનો જથ્થો ઠલવાયો છે.
ધારી પંથકમાં ભારે વરસાદ અને શેત્રુજી નદીના તમામ દરવાજા ખોલવામાં આવતા શેત્રુંજી નદીમાં પણ ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. આ પાણી ધારીના ગામડાઓ સુધી પહોંચ્યું હતું.
ખોડિયાર ડેમના ચાર દરવાજા અઢી ફૂટ ખોલવામાં આવતા જેઠાલાલ વાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
ભારે વરસાદથી કોડીનાર નજીક આવેલા શિંગોડા ડેમના છ પૈકી ત્રણ દરવાજા ખોલવામાં આવતા શીંગોડા નદીમાં પણ ભારે પુર જેવી સ્થિતિ જોવા મળી હતી.
કોડીનાર તાલુકાના 17 જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક આવેલા વેણુ અને મોજ ડેમમાં પાણીની જોરદાર આવક થતાં વેણુ 2 ડેમના સાત દરવાજા અને મોજ
ડેમના ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના 25માંથી મોટા ભાગના ડેમો 95 ટકાથી વધુ ભરાઈ ગયા છે અને ઓવરફ્લો સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.
આજી ન્યારી ભાદર સહિતના ડેમો સપ્તાહમાં ફરી ઓવરફલો થતા સૌરાષ્ટ્રના 140 માંથી 120થી વધુ ડેમો હાઈ એલર્ટ પર મુકાયા છે જ્યારે સેંકડો ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.