ગાય અને મનુષ્યનો પ્રેમ દર્શાવતી એક અનોખી ઘટના વિશે વાંચો…
આપણે જાણીએ છીએ કે જયારે કોઈ પ્રાણીને કોઈ મનુષ્ય સાથે લાગણી બંધાઈ જાય ત્યારે એ તેમને ક્યારેય ભૂલતા નથી. આપણા દેશમાં ગાયને ગાયને પવિત્ર માનવામા આવે છે. આપણે ગાયને આપણી માતા તરીકે પૂજીએ છીએ. શાસ્ત્રો અનુસાર, ગાયમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે. ગાયની સેવા કરવાનું પણ સૌથી પુણ્યનું કામ માનવામાં આવે છે. ત્યારે જૂનાગઢના કેશોદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે વિશે જાણીને તમને આશ્ચર્ય થઇ જશે અને આપણી ખૂબ જ પ્રચલિત કહેવત ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’ સાચી પડતી હોય એવું લાગશે.
જૂનાગઢના કેશોદમાં એક ગૌભક્તના અવસાન બાદ ગાયમાતા રોજ તેમના બેસણામાં આવે છે અને આંસુ સારે છે. કેશોદના આંબાવાડી વિસ્તારમાં રહેતા ઉકાભાઈના અવસાન બાદ તેમના બેસણામાં દરરોજ એક ગાય આવે છે. આ ગાય દરરોજ આવીને કોઈ પરિજન હોય એ રીતે તેમની તસ્વીર પાસે આવીને બેસી જાય છે. અહીં નોંધનીય છે કે ઉકાભાઈ એક ગાયપ્રેમી વ્યક્તિ હતા. ઉકાભાઈનો ગાય પ્રેમ એટલો હતો કે ગાય માતા પણ તેમના અવસાન બાદ તેમને ભૂલ્યા નથી અને તસવીર જોઈને જ તેમની બાજુમાં બેસી જાય છે.
ઉકાભાઈનું અવસાન 25 એપ્રિલના રોજ થયું હતું અને રિવાજ પ્રમાણે કુટુંબીજનોએ તેમનું બેસણું રાખ્યું. અને આશ્ચર્યજનક બાબત એ છે કે એક ગાયમાતા રોજ આ બેસણામાં આવીને શોક મનાવે છે. તેમના અવસાન બાદ એક ગાયના કલ્પાંતને લઈને પરિવારજનો પણ ભાવુક બન્યા છે.
આ ઘટના બાબતે ઉકાભાઈના પુત્રનું કહેવું છે કે તેમના પિતા આ ગાયને રોજ રોટલી ખવડાવતા હતા. તેમના અચાનક થયેલા અવસાનથી આ ગાયમાતા પણ દુઃખી થયા છે. છેલ્લા સાત દિવસથી આ ગાય રોજ બેસણામાં આવીને બેસી જાય છે અને આંસુ સારે છે.