સગાઇના બે મહિના બાદ યુવતીને કરંટ લાગવાથી તેને એક હાથ અને બંને પગ ગુમાવ્યા છતાં તેનો ભાવિ પતિ તેનો સાથ આપવા તૈયાર હતો, પણ હવે આ ઘટનામાં એક દુ:ખદ વળાંક આવ્યો છે.
વીજ તાર પડતા દાઝી ગયેલી અને સાત મહિનાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી હીરલ વડગામાએ ગઈ કાલે અંતિમ શ્વાસ લીધા હતા. હિરલ છેલ્લા 7 મહિનામાં 5 સર્જરીઓ કરાવીને મોતને માટે આપી રહી હતી. પરંતુ નસીબમાં કઈંક જુદું જ લખાયેલું હશે એમ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોના અથાક પ્રયત્નો છતાં હીરલ બચી શકી નહિ. હિરલના નિધનથી તેના પરિવારજનોમાં અને સંબંધીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
વીજ કરંટથી હાથ-પગ કાપવા પડ્યા હોવા છતાં હિરલને તેના મંગેતર ચિરાગે તેનો જીવનભર સાથ આપવાનો વાયદો કર્યો હતો. બંનેનો આ પ્રેમ જોઈને ભલભલાની આંખો ભીની થઈ ગઈ હતી.
શું હતી સમગ્ર વાત? જયારે આજના સમયમાં સગાઇ કરવી અને નાની વાતે તોડી દેવી કે લગ્ન કરવા અને પછી નાના કારણોસર છૂટાછેડા લઇ લેવા એ લોકો માટે રમત બની ગઈ છે ત્યારે ચિરાગ ગજ્જર નામનો આ યુવક સગાઈના દિવસે આપેલું વચન અત્યાર સુધી નિભાવી રહ્યો હતો.
ચિરાગની સગાઇ હિરલ વડગામા સાથે થઇ હતી. એક દિવસ ઘરમાં કામ કરી રહી હતી એ સમયે વીજળીનો તાર તૂટીને ઘર પર પહેયો અને હિરલને કરંટ લાગ્યો. કરંટ લાગતા હિરલ ગંભીર રીતે દાઝી ગઈ હતી, જેથી સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. સારવાર દરમ્યાન તેનો જમણો હાથ અને બંને પહ ઢીંચણ સુધીના કાપવા પડયા, આ ઘટનાથી હિરલના પરિવાર પર આફત આવી પડી. તેમને સમજાતું ન હતું કે હવે શું કરવું?
હિરલના પરિવારને એવું લાગતું હતું કે હિરલના હાથ પગ કપાઈ ગયા હોવાના કારણે હવે તેની સગાઇ તૂટી જશે પણ ચિરાગ હિરલનો સાથ આપવા માટે મક્કમ બન્યો હતો. ચિરાગને જે દિવસે આ ઘટનાની જાણ થઇ એ જ દિવસથી ચિરાગ સતત હિરલની સાથે જ રહેતો અને એ એક મિનિટ માટે પણ હિરલથી દૂર થયો નહિ. તે હિરલને આ જ પરિસ્થિતિમાં સ્વીકારવા માટે તૈયાર હતો.
આ આખી દુર્ધટનામાં હીરલના મંગેતર ચિરાગે હીરલને જેવી છે એવી સ્થિતિમાં અપનાવવાનો વાયદો કર્યો હતો. તેણે કહ્યું કે હું હીરલનો જીવનભર સાથ આપીશ. ચિરાગે એમ પણ કહ્યું કે જો અમારા લગ્ન થઈ ગયા હોત તો અને મારા ઘરે આવી દુર્ઘટના બની હોત તો શું હું તેને છોડી દેત? હું હવે તેનો આખી જિંદગી સાથ આપીશ. ચિરાગની સાથે જ તેનો આખો પરિવાર પણ સહેમત હતો અને અત્યાર સુધી ખડેપગે હિરલની સેવા કરી રહ્યો હતો.
હીરલ અને ચિરાગની લવસ્ટોરી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ બધા બંનેના ખૂબ વખાણ કરી રહ્યા હતા. પરંતુ ભગવાનને આ મંજૂર નહોતું અને હવે હીરલ આપણી વચ્ચે નથી રહી. આ એ જ હિરલ છે કે જેને ચિરાગે કોઈ પણ પરિસ્થિતિમાં સાથ આપવાનો વાયદો કર્યો હતો. આ સત્ય ઘટના કોઈ પણ ફિલ્મની વાર્તાને પણ ટક્કર મારે છે.