અસત્ય પર સત્યની જીતનો પ્રતીક એવો હોળીનો તહેવાર આવી રહ્યો છે. સામાન્ય રીતે હોળી પૂનમમાં દિવસે ઉજવવામાં આવે છે.
હોળિકા દહનને દિવસે ભદ્રા હોવાથી દર વખતે હોળીકા દહનના સમયને લઈને વિટંબણા કે દ્વીધાભરી સ્થિતિ જન્મે છે. જો કે હર વર્ષે એવું નથી. ભદ્રા સામાન્ય રીતે અશુભ અને વિઘ્નકારક માનવામાં આવે છે.
ભદ્રા દરમિયાન હોળી પ્રાગટ્યથી વર્ષ શુભ નિવડતું નથી. જો કે વિશેષ પરિસ્થિતિઓમાં ભદ્રાના અંતભાગમાં હોળી પ્રગટાવી શકાય છે. જ્યારે ઘણીવાર ભદ્રા વહેલી કે રાત્રિના બીજા પ્રહરમાં જ પૂરી થઈ જાય છે.
દોષરહિત કાળમાં પ્રગટાવો હોળી..
હોળિકા દહન જો દોષ રહિત કાળમાં પ્રગટાવવામાં આવે તો તે શુભ ફળદાયી નિવડે છે. વર્ષ સારું નિવડે છે. આથી હોળીના દિવસે સમય જોઈને ભદ્રા પૂરી થઈ જાય દોષ રહિત સમયમાં રાતે હોળી પ્રગટાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે. સામાન્ય રીતે આ સમયે હોળીકાદહન કરવામાં આવશે.
જાણો કેવી રીતે હોળિકા પૂજન શું છે તેનું મહત્વ..
હોળીના દિવસે આખો દિવસ ઉપવાસ કરવો. હોળીના દર્શન કર્યા પછી જમવું. અનેક લોકો હોળીના દિવસે પાણી વાળી ચીજો ખાતા નથી. ધાણી કે દાળિયા – ખજૂર ખાઈને હોળી ભૂખ્યા રહે છે. હોળીના દિવસે અનેક ઘરોમાં સાંજે લાપસી બને છે.
આખો દિવસના ઉપવાસ પછી સાંજે હોળીના દર્શન પછી ઉપવાસ છોડવામાં આવે છે. લાપસી, દાળભાત શાક પૂરી ફરસાણનો જમણવાર થાય છે.
હોળિકા પૂજન..
હોળિકા દહન માટે જ્યારે પૂજાની થાળી તૈયાર કરો ત્યારે અલગ અલગ વાટકીમાં પૂજન સામગ્રી લેવી. જેમ કે એક વાટકીમાં કંકુ, તો બીજીમાં અબીલ, ત્રીજીમાં ગુલાલ, ચોથી વાટકીમાં ઘાણી, પાંચમી વાટકીમાં દાળિયા, છઠ્ઠી વાટકીમાં ખજૂર લેવી સાથે નારિયેળ અને પાણીથી ભરેલો લોટો અને દક્ષિણા માટે કેટલાંક પૈસા લેવા.
જો ઘરમાં નવવધુનું આગમન થયું હોય કે કોઈ બાળકની પ્રથમ હોળી હોય તો પૂજા સામગ્રીમાં પાંચ ફળ, પાંચ ફૂલ અને મિઠાઈ પણ સામેલ કરવી. નવા વસ્ત્રો પહેરવા. પૂર્ણ શણગાર સજવો.
હોળીનું મહત્વ..
હોળિકા દહન સ્થળે પહોંચીને સૌ પ્રથમ હોળિકાની પાંચ થી સાત વાર પરિક્રમા કરવી, સાથે સાથે જળ અર્પિત કરતાં જવું. તે પછી હોળીને કંકું, અબીલ, ગુલાબથી વધાવવી. હોળીમાં નારિયેળ અને દક્ષિણા અર્પિત કરવા. સાથે સાથે હોળીમાં ધાણી, દાળિયા અને ખજૂર અર્પણ કરવા. જો અન્ય સામગ્રી હોય તો તે પણ અર્પણ કરવી.
આ રીતે હોળિકાને ભોગ ધરાવવો. જેમાંથી બચેલો ભોગ પ્રસાદ તરીકે ગ્રહણ કરવો. આ પૌરાણિક ઘટના સાથે જોડાયેલું પર્વ છે તેથી હોળિકા દહનની વાર્તા સાંભળવી. જેમાં કેવી રીતે ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદનો ઉગારો થયો હતો. હોળિકાની અગ્નિ તેને બાળી શકી નહોતી તે જાણવું. આ દિવસે બુરાઈ પર અચ્છાઈની જીત થઈ હતી.