અહિ જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો
સાપુતારા જવાનો પ્લાન કરતાં હોય તો માંડી વાળજો નહીં તો થશો હેરાન
ડાંગના જિલ્લા અધિક કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડીને ડાંગના પ્રવાસન સ્થળ સાપુતારામાં પ્રવાસીઓ માટે 1 નવેમ્બરથી 3 નવેમ્બર સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ જિલ્લા કલેકટર દ્વારા તમામ હોટલો અને ગેસ્ટ હાઉસ બંધ રાખવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં 8 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન 3 નવેમ્બરના રોજ યોજાશે
રિપોર્ટ અનુસાર રાજ્યમાં 8 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન 3 નવેમ્બરના રોજ યોજાશે ત્યારે આજથી પેટાચૂંટણીનો પ્રચાર બંધ થઈ જશે. મતદાન પૂરું થવાના 48 કલાક પહેલાં કોઇ પણ બેઠક પર ગેરકાયદેસર રીતે લોકો એકઠા થઇ શકશે નહીં. સભાઓ પર પ્રતિબંધ રહેશે નેતાઓ દ્વારા સ્પીકર વગાડીને પ્રચાર કરી શકાશે નહીં. ડાંગમાં યોજાનારી પેટાચૂંટણીના મતદાનને લઈને જિલ્લા અધિક કલેકટર ટી. કે. ડામોર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.
સાપુતારામાં 1થી 3 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ જાહેરનામામાં સાપુતારામાં 1થી 3 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો સાપુતારાની હોટલો પણ બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ સાપુતારામાં 3 નવેમ્બર 2020ના સવારે 6 વાગ્યાથી 7 નવેમ્બર 2020ના સાંજના 6:30 વાગ્યા સુધી એક્ઝિટ પોલ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
સાથે-સાથે ગેસ્ટ હાઉસ, હોટેલ, ધર્મશાળા અને અન્ય રહેવાની સગવડ ધરાવતા ધાર્મિક સ્થળો પર રાજકીય હેતુસર લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.