લદ્દાખમાં ચીને માઈક્રોવેવ હથિયારનો ઉપયોગ કર્યો
લદ્દાખમાં ચીને માઈક્રોવેવ હથિયારનો ઉપયોગ કર્યો, બે શિખરોને ભારતીય સૈનિકોના કબ્જામાંથી છોડાવી લીધા
લદ્દાખના પેંગોંગ સરોવર વિસ્તારમાં ડિસએંગેજમેન્ટના પ્રસ્તાવ પર ચાલી રહેલી મંત્રણા વચ્ચે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. ચીનની એક યુનિવર્સિટીના પ્રોફેસરે દાવો કર્યો છે કે ચીનના સૈનિકોએ લદ્દાખમાં ભારતીય સેનાના કબ્જા હેઠળના શિખરો ખાલી કરાવવા માટે માઈક્રોવેવ હથિયારનો ઉપયોગ કર્યો હતો. આ સંજોગોમાં ભારતના સૈનિકોને પીછેહઠ કરવા મજબૂર બનવું પડ્યુ હતુ.
આ દાવો રેનમિન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝના એસોસિએટ ડીન જિન કેનરોંગે એક ઓનલાઈન સેમિનારમાં કર્યો છે. આ અંગેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જિન કહી રહ્યા છે કે તેમની (ભારત) સેનાએ બે શિખર પર કબ્જો કરી લીધો હતો. વ્યૂહાત્મક રીતે આ શિખર ખૂબ જ મહત્વના હતા.તે ખૂબ જ ખતરનાક સ્થિતિ હતી. તેને લીધે વેસ્ટર્ન થિએટર કમાંડર પર ખૂબ દબાણ હતું. તેમને કોઈ પણ સંજોગોમાં આ શિખરો પાછા મેળવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. આ સાથે એવા પણ આદેશ આપવામાં આવ્યા હતા કે કોઈ પણ સંજોગોમાં ફાયરિંગ કરવામાં ન આવે. આ સંજોગોમાં કામ ખૂબ જ મુશ્કેલ હતું