કોરોના વાયરસ (કોવિડ 19) નું સંક્રમણ અત્યારે આખી દુનિયામાં ફેલાયેલું છે. આ જીવલેણ બીમારીથી અત્યાર સુધીમાં 30 લાખ કરતાં પણ વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તો બે લાખ કરતાં પણ વધારે લોકોનાં મૃત્યુ નિપજ્યાં છે. આ જોતાં તેના વિશે ગંભીરતાથી વિચારવું ખરેખર જરૂરી બની ગયું છે.
દુનિયાભરના ડોક્ટર્સ અને રિસર્ચર્સ અત્યારે તેના અંગે સંશોધન કરી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, આપણા ખાનપાનની પણ કોરોના પર ઘણી અસર થાય છે. મૂળ ભારતીય એવા બ્રિટિશ ડોક્ટર અસીમ મલ્હોત્રાએ લોકોએ તરત જ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ બંધ કરવાની સલાહ આપી છે.
ડો. અસીમ મલ્હોત્રા વ્યવસાયે કાર્ડિયોલોજિસ્ટ છે. અસીમ મૂળ દિલ્હીના વતની છે. અસીમ બ્રિટનમાં નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) માં પોતાની સેવા આપી રહ્યા છે. ત્યાં તેઓ કોરોના સામેની લડાઇમાં ફ્રંટલાઇન ડોક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.
ડો. અસીમ મલ્હોત્રાનું કહેવું છે કે, ભારતીયોએ તરત જ પેકેજ્ડ ફૂડ છોડી દેવું જોઇએ. તેમનું કહેવું છે કે, કોરોના વાયરસથી મૃત્યુ પામનાર લોકોમાં મોટું કારણ અપૂરતો પૌષ્ટિક આહાર છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસથી જાડા લોકોને વધારે ખતરો રહી શકે છે.
તેમણે કહ્યું કે, આ સંક્રમણથી બચવા માટે જીવન શૈલીમાં બદલાવ કરવાની જરૂર છે, જેના માટે તેઓ આજકાલ લોકોને જાગૃત કરી રહ્યા છે.
ડો. અસીમે કહ્યું, “ભારતમાં બીમારીઓનું એક મોટું કારણ તેમની જીવનશૈલી છે. તેમાં ખાસ કરીને ટાઇપ -2 ડાયાબિટીસ, હ્રદય રોગ અને હાઇ બ્લડ પ્રેશર છે.” તેમણે કહ્યું કે, આ ત્રણેય બીમારીઓ કોરોના વાયરસ માટે ખતરનાક નીવડી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, આ બીમારીઓ ખાસ કરીને વજન વધવાના કારણે થાય છે.