રાજપરા ખોડિયાર મંદિરનો ઇતિહાસ-
રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું. ત્યાર બાદ ઈ.સ.૧૯૧૪ની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતા. અહીં આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર ભાવસિંહજીએ ચડાવ્યું હતું. કહેવાય છે કે તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયાં હતાં.
માઇભકતો દર રવિવારે અને મંગળવારે આ શકિતના તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન પાઠ-વિધિ કરે છે.
પૌરાણિક કથા-
ભાવનગરનાં ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવા ઇરછુક હતા. જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતાં.
માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ-પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવાનું નહીં. જેથી મહારાજા આગળ-આગળ અને પાછળ આ ભકતવત્સલ માતાજી ચાલતા હતાં. આમ રાજાની સાથે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલ્યો જતો હતો,
પણ વરતેજ આવ્યું ત્યારે મહારાજાના મનમાં સંશય જાગ્યો કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં? આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થતાં આખરે મહારાજાએ પાછું વળીને જોયું. પછી ત્યાં એટલે કે તે જ સ્થળે માતાજી સમાઈ ગયાં.
આ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર.
રાજપરા મંદિર જો તમે અમદાવાદથી આવો તો વરતેજ નારી ચોકડીથી ૯ કિલોમીટરના અંતરે આવેલ છે, અને જો બોટાદ, વલ્લભીપુરથી આવો તો રંગોલી ચોકડીથી ૬ કિમી થાય છે,રાજપરા ખોડિયાર મંદિર તરફ્ ભાવનગરથી ચાલીને જતાં દરેક માઇભકતો નાની ખોડિયાર મંદિરે અચૂક દર્શન કરે છે.
આમ રાજપરા ખોડિયાર મંદિરએ માતાજીનું પ્રાગટય સ્થાન સમાન મોટું તીર્થ છે, અને નાની ખોડિયાર મંદિરએ માતાજી જ્યાં સમાયા તે સ્થાનક છે.