રાજકોટમાં શરૂ થયેલી રાજકુમાર કોલેજના પ્રથમ વિદ્યાર્થી બનવાનું ગૌરવ તખ્તસિંહજી ને મળ્યું હતું. તેમણે ઈ.સ. ૧૮૭૧થી ૧૮૭૪ના ત્રણ વર્ષ સુધી કિંગ કોલેજ તરીકે ઓળખાતી, આ કોલેજમાં અભ્યાસ કર્યો હતો.
તેથી આ કોલેજ પ્રત્યેનું પોતાનું ઋણ ચૂકવવાના હેતુથી તેમણે ભાવનગર રાજ્યની સત્તાના સંપૂર્ણ સૂત્રો ઈસ ૧૮૭૮માં પોતાના હાથમાં લીધા તે શુભપ્રસંગે આ કોલેજ માટે રૂપિયા એક લાખની ભેટની જાહેરાત કરી.
“રાજકોટ રાજકુમાર કોલેજ વિંગ” એ નામથી તે કોલેજમાં એક મોટું મકાન બંધાવી આપ્યું હતું.
તખ્તસિંહજી પોતે વિદ્યાપ્રેમી હોવાથી તેમણે પોતાના રાજ્યમાં શિક્ષણને ઉત્સાહપ્રેરક પ્રોત્સાહન આપ્યું હતું.
ગામડાઓમાં વધુ ગુજરાતી શાળાઓ ખોલવામાં આવી હતી, મહાલોમાં મુખ્ય મથકોમાં અંગ્રેજી મિડલ સ્કૂલો શરૂ કરવામાં આવી હતી.
કેન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના હેતુથી પોતાના પત્ની એવા ગોંડલ ના માજીરાજબાના નામથી “માજીરાજબા કન્યાશાળા” ખોલવામાં આવી હતી.
તેમાં કન્યાઓને પણ અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રબંધ કર્યો હતો. ભાવનગરમાં એક ઉર્દૂ શાળા પણ શરૂ કરવામાં આવી હતી.
ઈ.સ. ૧૮૮રમાં બાર્ટન લાઈબ્રેરી અને મ્યુઝીયમનો પાયો નાખવામાં આવ્યો હતો.
સંદર્ભ – ભાવનગર રાજ્યનો ઇતિહાસ. પાનાં નંબર 100