61 વર્ષની ઉંમરે સંજુબાબાએ કેન્સરને હરાવ્યુ
કેન્સર સેલ્સમાં બીજા સેલ્સની સરખામણીમાં મેટાબોલિક રેટ વધારે હોય છે. કેમિકલ એક્ટિવીટીના હાઈ લેવલને કારણે કેન્સર સેલ્સ પીઈટી સ્કેન પર ચમકતા ધબ્બાના રૂપમાં દેખાય છે. આ કારણે જ પીઈટી કેન્સર અંગે જાણવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સાથે સાથે એ પણ જાણી શકાય છે કે કેન્સર શરીરમાં કેટલું ફેલાઈ ગયું છે.
બોલિવુડના સંજુબાબાને બે મહિના પહેલા ચોથા સ્ટેજનું કેન્સર હોવાના સમાચાર જાણવા મળ્યા હતા. પરંતુ 61 વર્ષના આ કલાકારે કેન્સરને મ્હાત આપી દીધી છે. તેના નજીકના મિત્ર અને ટ્રેડ એનાલીસ્ટ રાજ બંસલે આ જાણકારી આપી છે. કોકિલાબેન હોસ્પિટલના સૂત્રો દ્વારા પણ આ વાત સત્ય હોવાનું જણાવ્યું છે. સોમવારે 61 વર્ષીય અભિનેતાનો પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી રિપોર્ટ સામે આવ્યો હતો.
જેમાં તે કેન્સર મુક્ત થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. પીઈટી સ્કેન કેન્સરની સૌથી ઓથેન્ટીક તપાસ માનવામાં આવે છે. આ સ્કેન દ્વારા જાણી શકાય છે કે પીડિતના કેન્સર સેલ્સની શું હાલત છે.
છેલ્લા કેટલાંક દિવસો પહેલા સંજય દત્તે એક વીડિયોમાં પહેલી વખત પોતાની બીમારી અંગે વાત કરી હતી. સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ અલીમ હાકીમે પોતાના સોશિયલ મીડિયા પેજ પર સંજય દત્તનો વીડિયો શેર કર્યો હતો. તેમાં સંજય દત્તે સલીમનો સૌ સાથે પરિચય કરાવ્યો હતો અને પોતાના માથા પર આવેલા નિશાનને બતાવતા કહ્યું હતું કે,
તમને હાલમાં જે નિશાન દેખાય છે તે મારી હાલની પરિસ્થિતિના છે પરંતુ હું તેને હરાવી દઈશ. હું ટૂંક સમયમાં કેન્સર મુક્ત બની જઈશ. સંજય દત્તને 8 ઓગષ્ટના રોજ શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના કેટલાંક ટેસ્ટ કરવામાં આવતા તેના 3 દિવસ પછી તેને લંગ કેન્સર હોવાનું જાણવામાં આવ્યું હતું.
રિપોર્ટ્સ પ્રમાણે સંજય દત્તને ચોથા સ્ટેજનું કેન્સરથી પીડિત હતો અને તેનો ઈલાજ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો. પરંતુ આ અંગે તેણે અથવા તેના પરિવારના કોઈ પણ વ્યક્તિએ આ વાતનો સ્વીકાર કર્યો ન હતો. સંજયની પત્ની માન્યતાએ પોસ્ટમાં લખ્યું હતું કે, હું સૌનો આભાર માનું છું,
જેણે સંજુના જલદીથી સારા થઈ જવાની દુઆઓ માંગી છે. આ મુશ્કેલીના સમયમાંથી બહાર આવવા માટે તમારા સૌની પ્રાર્થનાઓની જરૂર છે. આથી મારી ગુઝારિશ છે કે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપવાની જરૂર નથી.