નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલા ગુજરાતીઓના ગૌરવ સમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દુનિયાની 8મી અજાયબી જાહેર કરાઈ છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વિશ્વની 8મી અજાયબી જાહેર કરી છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. 8 શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ પૈકી એક બનતા સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી ટુરિઝમને ફાયદો થશે. શાંઘાઈ કોઓપરેશન સભ્ય દેશમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો પ્રચાર કરશે.
વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. જણાવી દઈએ કે, હાલમાં તો દુનિયાની 7 અજાયબીઓમાં ભારતનું એકમાત્ર તાજમહેલ જ છે. એકતાનું પ્રતીક સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાધુ બેટ નામના દ્વીપ પર 3.2 કિમી દૂર નર્મદા ડેમની સામે સ્થિત છે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયા પછી એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. અત્યાર સુધીમાં લાખો લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચૂક્યા છે.
સ્ટેચ્યૂ યુનિટીને નિહાળવા માટે જતા પર્યટકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોની સુરક્ષાને લઇને પણ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
હજુ પણ વધારે લોકો આ સ્થળની વધારેમાં વધારે મુલાકત લે તે માટે તંત્ર દ્વારા ટ્રેકિંગ, વોટર રાફ્ટીંગ, બટરફ્લાય પાર્ક જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ નવા નવા આકર્ષણના કેન્દ્રો વિકસાવવાના કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ પર્યટકોની મુલાકાતને મામલે સ્ટેચ્યૂ ઓફ લીબર્ટીને પણ પાછળ રાખી દીધું છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવનારા પર્યટકોની દૈનિક સંખ્યા 15,000 કરતા વધારે થઇ ગઈ છે.
જોકે, સ્ટેચ્યૂ ઓફ લીબર્ટીની મુલાકાતે જતા પર્યટકોની સંખ્યા માત્ર 10,000 છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જતા હોવાના કારણે સરકારને 85.57 કરોડ રૂપિયાની આવક થઇ છે.
આંકડાકીય માહિતી અનુસાર, 1 નવેમ્બર 2018થી 31 ઓક્ટોબર 2019 સુધી દરરોજ આવતા મુલાકાતીઓની સંખ્યામાં 74%નો વધારો થયો છે અને 30 નવેમ્બર સુધીમાં 30,90,723 લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચૂક્યા છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ વિકસાવવામાં આવેલા પર્યટન સ્થળોમાં ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, કેકટસ ગાર્ડન, વિશ્વ વન, બટરફ્લાય ગાર્ડન, એકતા મોલ, એકતા ઓડિટોરીયમ, બોટિંગ, ડાયનાસોર પાર્ક, ગ્લો ગાર્ડન, શ્રેષ્ઠ ભારત ભવન, ઝરવાણી ઇકો ટુરીઝમ અને ખલવાણી ઇકો ટુરીઝમનો સમાવેશ થાય છે.