ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં લગભગ 3000ની વસ્તી ધરાવતું તાવેડા નામનું એક ગામ છે..
આ ગામના સરપંચ શ્રી દાનાભાઈ આહીરે લોકડાઉનના આ સમયમાં પોતાના ગામના ગરીબ માણસો માટે એવું કામ કર્યું છે કે જે જાણીને આપણને થાય કે સરપંચ હોય તો આવા…
કોરોનાને ફેલાતો અટકાવવા માટે લોકડાઉનનો નિર્ણય લેવાયો ત્યારથી દાનાભાઈને ગામના રોજે રોજનું કમાઈને ખાનારા ગરીબ માણસોની ચિંતા થતી હતી.
ગામના એકપણ માણસને તકલીફ ન પડે એ જોવાની નૈતિક ફરજ ગામના સરપંચની છે એવું માનતા દાનાભાઈ સતત એ વિચારતા કે મારા ગામના ગરીબ માણસો માટે હું શું કરી શકું ?
દાનાભાઈને મદદ કરવાની બહુ ઈચ્છા થાય પણ પોતાની પાસે કોઈ રકમ નહોતી. બીજા પાસેથી માંગીને મદદ કરવા એનું મન માનતું નહોતું. એકદિવસ ઘરના તમામ ઘરેણાં લઈને બેંકમાં પહોંચી ગયા.
પોતાના બધા ઘરેણાં ગીરવે મૂકીને બેન્ક પાસેથી લોન લીધી. બેંકે આ ઘરેણાં પર 9.5 લાખની લોન આપી. દાનાભાઈએ આ રકમમાંથી ગામના ગરીબ માણસોને જીવનજરૂરિયાતની વસ્તુઓ વહેંચી અને જેને રોકડ સહાયની જરૂર હતી એને રોકડ આપી.
7.5 લાખ ગામના ગરીબ અને જરૂરિયાતમંદ માણસોને વહેંચી દીધા અને હજુ 2 લાખ પોતાની પાસે રાખ્યા છે જેથી કોઈને જરૂર પડે તો આપી શકાય. આ મરદ માણસે પોતાના ઘરના બધા ઘરેણાં ગીરવે મૂકીને બીજાના ઘરના ચૂલા સળગતા રાખવાનું સેવાકાર્ય કર્યું છે.
કોરોના ખાલી મુસીબતો જ નથી લાવ્યો પણ દાનાભાઈ આહીર જેવા કેટલાય સજ્જન માણસોની ખાનદાની અને ખુમારી પણ બહાર લાવ્યો છે.