કોરોના વાયરસે સમગ્ર ભારત સહિત આખા વિશ્વમાં કહેર મચાવીને રાખ્યો છે, અત્યાર સુધીમાં કોરોના વાયરસે હજારો લોકોના જીવ લીધા છે પણ હજુ સુધી આની કોઈ રસી બની નથી. વિશ્વના ઘણા દેશો તેની રસી બનાવવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ રસી ક્યારે આવશે તેની ખાતરી નથી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમે સોમવારે સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કાઉન્સિલને માહિતી આપી છે કે કોરોના વાયરસની રસી બનાવવા માટે ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે અને આ અનુમાનિત સમય કરતા પહેલા તૈયાર થઈ જશે. ટેડ્રોસે જણાવ્યું હતું કે કુલ 7 થી 8 ટીમો છે જે આ રસી બનાવવાની ખૂબ નજીક છે અને ટૂંક સમયમાં જ વિશ્વને એક સારા સમાચાર મળી શકે છે.
તેમને જણાવ્યું કે બે મહિના પહેલા, અમે અનુમાન લગાવ્યું હતું કે કોરોના વાયરસની રસી બનવામાં 12 થી 18 મહિનાનો સમય લાગી શકે છે, પરંતુ કામમાં ઝડપ આવી છે અને આ સમય કરતા પહેલા જ બનાવી લેવામાં આવશે.
વધુમાં જણાવતા ડબ્લ્યુએચઓ ચીફે કહ્યું કે 8 બિલિયન ડોલર રકમ પૂરતી નથી અને અમને થોડી વધુ સહાયની જરૂર છે. જો આ મદદ નહિ મળી તો રસી બનાવવાના કામમાં સતત વિલંબ આવશે. રસી બનાવ્યા પછી, મોટી માત્રામાં તેનું ઉત્પાદન કરવા માટે પણ જરુર પડશે એટલે આ રકમ ઓછી છે. ટેડ્રોસે જણાવ્યું હતું કે ભૂતકાળમાં તેમણે આ સંદર્ભમાં 40 દેશોને અપીલ કરી છે.
ડબ્લ્યુએચઓ ઇચ્છે છે કે રસીનો ફાયદો માત્ર થોડા લોકોને જ ન મળે પણ દરેક દેશ અને દરેક લોકો સુધી પહોંચે. ટેડ્રોસે રસી વિશે માહિતી આપી હતી કે અમે હાલમાં એવા ઉમેદવારો પર વધુ ધ્યાન આપી રહ્યા છીએ કે જે પરિણામની નજીક છે અને ઝડપથી કામ કરવામાં સક્ષમ છે. જો કે, ટેડ્રોસે આ ટોચના ઉમેદવારોના નામ જાહેર કરવાની ના પાડી હતી.
ટેડ્રોસે કહ્યું કે કોરોના સંક્રમણ ખૂબ જ ખતરનાક છે અને રસી વિના આ લડાઈમાં આપણે ખૂબ જ ખૂબ જ નબળી સ્થિતિમાં રહીશું. તેમણે કહ્યું કે આ સંક્રમણ તમામ દેશોને શીખવાડી ગયું છે કે દરેક દેશને મજબૂત હેલ્થકેર સિસ્ટમની જરૂર હોય છે.
સાથે જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક ડો.સૌમ્યા સ્વામિનાથને કોરોના સંક્રમણ અને મૃત્યુને અન્ય દેશો કરતા ઓછા રાખવા બદલ ભારતની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું, કોવિડ-19 રસી બનાવવામાં ભારત પણ મહત્વની ભૂમિકા ભજવશે.